જમાલપુર વોર્ડના ભાજપ કાર્યકરોએ શહેર પ્રમુખને ફરિયાદ કરી
જગન્નાથ મંદિરની જળયાત્રાના રૂટ પર છૂટથી દારૂ વેચાય છે
ગાયકવાડ પોલીસ સ્ટેશન હદમાં આવતા રાયખડ અને સોમનાથ ભૂદરના આરા વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂના વેપાર મુદ્દે ભાજપના જ સ્થાનિક કાર્યકરોએ ભાજપના શહેર પ્રમુખ પ્રેરક શાહ અને પ્રદેશ મંત્રીને ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, જમાલપુરના જગન્નાથ મંદિરની જળયાત્રા જે રૂટ પરથી નીકળે છે, ત્યાં જ ખુલ્લેખામ દારૂ વેચાય છે અને આ અન્ન ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની રહેમનજર હેઠળ જ ધમધમી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં બે વખત પીઆઈને ફરિયાદ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. વહેલી સવારથી જ આ અડ્ડાઓ પર દારૂ પીવા આવનારા લોકોની લાઈનો લાગે છે.જુલાઈ મહિનામાં જમાલપુર વોર્ડ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું. કાર્યાલયની નજીક જ દારૂનો અકો સક્રિય હોવાની જાણ થતાં વોર્ડ ભાજપના આગેવાનોએ 28 જુલાઈ અને 7 ઑગસ્ટે બે વખત લેખિતમાં પોલીસને જાણ કરી હતી.
પ્રથમ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે સોમનાથ ભૂદરના આરા વિસ્તારમાંદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી વિસ્તારના લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. તેથી દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા માટે પોલીસની મદદ માગવામાં આવી હતી.ગાયકવાડ હવેલી સ્ટેશનના પીઆઈ ચિરાગ ગોસાઈએ કહ્યું કે, તાજેતરમાં એક કેસ કરાયો છે. તેના માટે પાસાની દરખાસ્ત મૂકી છે. દારૂ વેચાય છે ત્યાં અઠવાડિયાથી પીસીઆર ઊભી રાખી છે.
આ વિસ્તાર દારૂ-જુગાર માટે હોટ ફેવરિટ ગણાય છે
ખાડિયા-જમાલપુર વિધાનસભા મત વિસ્તારમાં ખાડિયા, જમાલપુર અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ આવે છે. આ ત્રણે પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં દારૂ અને જુગારનો બેરોકટોક ધંધો ચાલી રહ્યો હોવાનું ભાજપના કાર્યકરો જણાવી રહ્યાં છે. દારૂના ધંધાના કારણે સારા લોકો વિસ્તાર છોડીને સ્થળાંતર કરી રહ્યાં છે







