ડોક્ટરે સમયસર સારવાર શરૂ નહીં કરી હોવાનો આક્ષેપ
પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચતાં મામલો થાળે પડ્યો
મ્યુનિ. સંચાલીત શારદાબેન હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં ફસાઇ છે, જેમાં સોમવારે મોડી રાત્રે 45 વર્ષના એક દર્દી છાતીમાં દુઃખાવા સાથે શારદાબેન હોસ્પિટલમાં ઈમરજન્સીમાં પહોંચ્યા હતા. જોકે દર્દી થોડા સમયમાં જ મૃત્યુ પામતા આ મામલે હંગામો થયો હતો. દર્દીઓના સગાઓ પાછળથી લાકડીઓ સાથે હોસ્પિટલમાં ધસી આવ્યા હતા અને ડોક્ટરોને બહાર કાઢવાની માગણી કરવા લાગ્યા હતા. હંગામો થતાં સ્થાનિક સ્ટાફ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોમતીપુર વિસ્તારમાં પુજારીની ચાલીમાં રહેતા સાલેહા ફિરોજ અખ્તરને રાત્રે 2.37 કલાકે છાતીમાં દુઃખાવાની સમસ્યા સાથે શારદાબેન હોસ્પિટલમાં શારદાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તે સમયે ફરજ પર તબીબ હાજર ન હતાં. જુનિયર તબીબને સીપીઆર જેવી પ્રાથમિક સારવાર આપતાં પણ આવડતું ન હોવાનો દર્દીના સગાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો.
દર્દીને તત્કાલ સારવાર આપવામાં નહી આવતાં થોડીવારમાં જ દર્દીનું મૃત્યુ નિપજ્યુ હતું. જેને પગલે ડોક્ટરોની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયાનું લાગતાં ગોમતીપુરથીદર્દીના સગાઓ લાકડીઓ લઇને શારદાબેન હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમણે યોગ્ય સારવાર નહી આપતાં ડોક્ટરને બહાર કાઢવા માટે હોબાળો મચાવ્યો હતો. દરમ્યાન આ મામલે તત્કાલ પોલીસને સ્થળે પર બોલાવવામાં આવ્યા હતા. જે બાદ સ્થિતિ શાંત થઈ હતી. આ મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
7 વર્ષથી મ્યુનિ. હોસ્પિ. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટથી જ ચાલે છે
મ્યુનિ. સંચાલીત શારદાબેન, વી.એસ. હોસ્પિટલ, એલજી હોસ્પિટલમાં કાયમી સુપ્રિટેન્ડટની નિમણુંક જ થઇ શકી નથી. 3 વખત એડવર્ટાઇઝ આપવા છતાં પણ કોઈ તબીબ આ હોદ્દો સંભાળવા તૈયાર નથી. ત્યારે બીજી તરફ આવી ઘટના સમયે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટને કારણે મ્યુનિ. કોઇ અસરકાર કામગીરી કરી શકતું નથી. એટલું જ નહી પણ હોસ્પિટલમાં વહીવટી અને મેડિકલ બે સંત્તાઓ અલગ અલગ રાખવા એક નવી અધિકારી કેડર ઉભી કરવા પણ સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ થયો હોવા છતાં કોઈ અમલ થઇ શક્યો નથી.







