કેટલાક લોકો કેનાલમાં જ કચરો અને એંઠવાડ નાખે છે
કેનાલની પાળીઓ પણ ઘણી જગ્યાએ તૂટી ગયેલી છે
શહેરના ઘોડાસર વિસ્તારમાં આવકાર હોલ થી સ્મૃતિ મંદિર થઈને લાંભા સુધીની ખારીકટ કેનાલમાં ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે કેનાલની આસપાસની સોસાયટીઓમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. મચ્છરોના લીધે આ સોસાયટીઓમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો થયો છે. ઉપરાંત ઘણી જગ્યાએ કેનાલની પાળીઓ પણ તૂટેલી હોવાથી વાહનચાલકોને અકસ્માતનું જોખમ સતાવી રહ્યું છે.
એટલે આ સમસ્યાના કાયમી ઉકેલ માટેની કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આવકાર હોલથી ઘોડાસર
વિસ્તારમાંથી પસાર થઈને લાંભાના આકૃતિ ટાઉનશિપ સુધી જતી ખારીકટ કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે છે. તેની સાથે ઘણી જગ્યાએ ગટરના પાણી જ છોડતા હોવાથી ગંદકી થાય છે. આટલું ઓછું હોય તેમ કેટલાક લોકો કેનાલમાં જ કચરો અને એંઠવાડ નાંખીને ગંદકી કરતા હોવાથી તીવ્ર વાંસ મારે છે. કેનાલની ગંદકી અને ગંદા પાણી દ્વારા મચ્છરોનો ઉપદ્રવ થાય છે. એટલે નજીકની સોસાયટીઓના મકાનોમાં દરેક જગ્યાએ મચ્છરો પોતાનું રાજ જમાવે છે. જેમ કેઘરની દીવાલો, કપડાં, વાસણો દરવાજા જ્યાં જુવો ત્યાં મચ્છર જોવા મળે છે. એટલે વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.નોંધનીય છે કે, મ્યુનિ દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ ગંદકી કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. જેમાં કેટલાક ધંધાકિય એકમોને સીલ કરવા અને દંડ ફટકારવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. તો ઘણી જગ્યાએ કચરો નાંખવા આવેલા ખાનગી વાહનો જપ્ત કરવા સુધીના પગલાં પણ ભરવામાં આવે છે. ત્યારે ખારીકટ કેનાલમાં ગંદકી કરનારા લોકો તંત્રને કેમ દેખાતા નથી ?
કેનાલ સ્વચ્છ રહે તેવું આયોજન કરવું જોઈએ
મ્યુનિ તંત્ર દ્વારા કેનાલ પાસેના વિસ્તારમાં સમયાંતરે દવાનો છંટકાવ કરવામાં આવે છે. પણ તેનો કોઈ ખાસ અસર થતી નથી. કેનાલમાં થતી ગંદકી રોકવાની દિશામાં તંત્ર દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. જોકે અત્યાર સુધી કેનાલની સફાઈ પણ 2 થી 3 વાર થઈ પણ કેનાલ કાયમી સ્વચ્છ રહે તેવું કોઈ આયોજન કરવાની માગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
તૂટેલી પાળીઓના લીધે બાળકો પડી જવાનો ડર
આ અંગે સ્થાનિક જતીન કોષ્ટીએ જણાવ્યું હતું કે, ગેબનશાહથી લાંભા આકૃતિ ટાઉનશીપ સુધીની કેનાલની ઘણી જગ્યાએ પાળીઓ તૂટી ગયેલી હોવાના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનું જોખમ રહેલું છે. ઉપરાંત શાળાએ જતાં વિદ્યાર્થીઓ પણ કેનાલમાં પડી જાય અને ડુબી જવાનો ભય વાલીઓને સતાવી રહ્યો છે. આ પાળીઓનું તાકિદે સમારકામ કરવાની જરૂર છે.







