રૂ.3.18 લાખના સોનાના દાગીના કબ્જે કર્યાં
નારોલના શાહવાડીમાં બંધમકાનનું તાળુ તોડીને દાગીનાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે ઘરફોડ ચોરને પકડીને તપાસ કરતાં આરોપી રીઢો ચોર હોવાનો ખુલાસો થયો છે.
ત્યારે પોલીસે આરોપી પાસેથી ચોરીના મુદ્દામાલ કબ્જે કરીને તેને નારોલ પોલીસ સ્ટેશને સોંપવાની કવાયત કરવામાં આવી છે.
નારોલના શાહવાડીના જ્યોતિનગરમાં તા.1 થી 9 જુલાઈ દરમિયાન મકાનનું તાળુ તોડીને ચોરે તિજોરીમાં રાખેલા જુદા જુદા સોનાના રૂ.3.18 લાખના દાગીનાની ચોરી કરી હતી. ચોરી અંગે નારોલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરને પકડી પાડવા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સપોર્ટથી ગુનાના આરોપી આસિફ ઉર્ફે ભેડિયા પટેલને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા રૂ.3.18 લાખના દાગીના કબ્જે કર્યા હતા.
બાદમાં આરોપીની સધન પુછપરછ કરતાં તેની સામે અગાઉ દાણીલીમડા, નારોલ,શહેરકોટડા, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આમ રીઢો ઘરફોડ ચોરને પકડવામાં પોલીસને સફળતા મળી છે.







