આસપાસની 10 સોસાયટીઓના રહિશોને હેરાનગતી
પૂર્વના પોશ વિસ્તાર ગણાતા મણિનગરમાં સ્વામીનારાયણ મંદિર પાસે છેલ્લા એક પખવાડિયાથી ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાની સમસ્યા જોવા મળી રહી છે. રોડ પર પાણી ભરાતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને હેરાનગતિ ભોગવવાનો વારો – આવ્યો છે. જ્યારે આસપાસની – 10 સોસાયટીના રહીશો પણ રોડ પર ભરાયેલા ગટરના પાણીની તીવ્ર દુર્ગંધથી હેરાન પરેશાન થઈ ગયા છે.ત્યારે નાગરિકોના હિતમાં મ્યુનિતંત્ર તાકિદે ડ્રેનેજની સફાઈની
કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, મણિનગરના રામબાગ પાસે આવેલા સ્વામીનારાયણ મંદિર નજીક અવારનવાર ગટરલાઈન ઉભરાઈ જાય છે. પખવાડિયાથી વારંવાર ગટર ઉભરાતી હોવાથી તેના ગંદા પાણી રોડ પર ફરી વળતાં ચારે તરફ તીવ્ર દૂર્ગંધ ફેલાઈ જાય છે. એટલે ત્યાંથી અવરજવર કરવામાં નાગરિકો પરેસાન થઈ રહ્યા છે. ઉપરાંત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવતા નાગરિકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને પણ આ ગંદા પાણીમાં થઈને જવાનો વારો આવતા કંટાળી ગયા છે. જ્યારે ઉભરાયેલી ગટરના પાણી આસપાસની 10 જેટલી સોસાયટીઓના રોડ પર ફરી વળે છે. જેના કારણે સોસાયટીના રહીશો અને રાહદારીઓને અવરજવર કરવામાં તકલીફ પડે છે. આ મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિ કોર્પોરેશનમાં ઉભરાતી ડ્રેનેજ અંગે ફરિયાદો કરવામાં આવે છે. ત્યારે તંત્ર તરફથી કામગીરી થઈ જશે તેવા ઠાલા વચનો આપવામાં આવે છે. પરંતુ વાસ્તવિકમાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી તંત્રને પણ કામગીરી કરવામાં રસ નથી.







