દોઢ કિમી સુધીના વિસ્તારમાં ગંદા પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળાના કેસો વધ્યા
મ્યુનિમાં રજૂઆત કરવા છતાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવે છે
શહેરમાં બે દિવસથી વરસાદને પગલે રામોલમાં આવેલું ખાનવાડી તળાવ છલકાતા તેના પાણી આસપાસના દોઢ કિલોમીટર સુધીના વિસ્તારમાં રોડ પર ફરી વળ્યા હતા. જેમાં તળાવમાં રહેલો કચરો પણ રોડ પર આવતા ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો થઈ ગયો છે. તેમજ તીવ્ર દૂર્ગંધથી પણ નાગરિકો હેરાન-પરેસાન થઈ ગયા છે.
આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર દ્વારા સફાઈ સહિતની દિશામાં કોઈ કામગીરી કરાતી નથી. આ અંગે સમાજિક કાર્યકર હર્ષદ પટેલે કહ્યું હતુ કે, શનિવાર અને રવિવારે પડેલા વરસાદને પગલે રામોલના ખાનવાડી તળાવમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે તળાવ ઓવરફલો થતાં તેમાંથી દુર્ગંધ મારતા ગંદા પાણી આસપાસના દોઢ કિલોમીટર સુધીના વિસ્તારમાં ફરી વળ્યા હતા. જેમાં માતૃભૂમિ સોસાયટી.
માતૃભૂમિ બંગ્લોઝ, તપસ્વી ફલોરા, માતૃ સાંનિધ્ય ફલેટ, અયોધ્યા નગર સોસાયટી સહિતના નજીકની ઘણી બધી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે તીવ્ર દૂર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. ઉપરાંત નજીકમાં આવેલા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં પણ પાણી ભરાઈ જતાં ગંદકી જોવા મળી હતી. જો કે તળાવના પાણીની સાથે સાથે કચરો પણ રોડ પર આવ્યો હતો. એટલે ઘણી જગ્યાએ કચરો પણ રોડ પર પડ્યો હતો. એટલે તળાવ ઓવરફલો થતાં ગંદકી અને દુર્ગંધ મારતા પાણીથી લોકો હેરાન થઈ ગયા હતા. તદ્ઉપરાંત ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. મચ્છરોનો ઉપદ્રવ વધતાં ફોંગીગની કામગીરી કરતાં નથી.







